Friday, June 4, 2010

રામ

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧.
पुं. અરુણનું એક નામ.
૨.
पुं. અર્જુન.
૩.
पुं. આત્મા; જીવ.
૪.
पुं. આનાની તેરીખ; વ્યાજનો આનો.
૫.
पुं. ઋગ્વેદના દશમા મંડલના ૧૧૦મા સૂક્તનો કર્તા એક ઋષિ.
૬.
पुं. ( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; દોલા. તે પ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં સગણ અને ગુરુ એમ ચાર અક્ષર હોય છે.
૭.
पुं. ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રસઉલ્લાસ છંદનો એક ભેદ છે. તેમાં બાર ગુરુ અને બત્રીશ લઘુ મળી ચુંમાળીસ વર્ણ અને છપ્પન માત્રા આવે છે.
૮.
पुं. ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ત્રેવીશ ગુરુ અને પચાસ લઘુ મળી તોંતેર વર્ણ અને છન્નું માત્રા હોય છે.
૯.
पुं. ગૌતમ બુદ્ધનું ભવિષ્ય જાણવા માટે બોલાવેલ મુખ્ય આઠ માંહેનો એક બ્રાહ્મણ.
૧૦.
पुं. ઘોડો.
૧૧.
पुं. જરથોસ્તી માસનો એ નામે એકવીશમો દિવસ.
૧૨.
पुं. જંબુદ્વિપના નવ માંહેનો એક ખંડ.
૧૩.
पुं. જૈન ધર્મના નવમા બળદેવ.
૧૪.
पुं. તાકાત; શક્તિ.
૧૫.
पुं. ત્રણની સંખ્યા બતાવનારી સંજ્ઞા; ત્રણ સૂચક સાંકેતિક શબ્દ.
૧૬.
पुं. ( પુરાણ ) પરશુરામ; જમદાગ્નિ ઋષિને રેણુકાની કૂખે થયેલા પાંચ માંહેના સૌથી નાના પુત્ર. તેનાં જમદગ્નિના પુત્ર હોવાથી જામદગ્ન્ય અને હાથમાં પરશુ નામનું આયુધ ધારણ કરતા હોવાથી પરશુરામ એવાં નામ હતાં. પિતાની આજ્ઞાને અનુવર્તી માતાનો અને ભાઈઓનો વધ કર્યા પછી જમદગ્નિએ તેને વર માગવાનું કહ્યું ત્યારે તેણે સૌને સજીવન કર્યાં. ત્રેતાયુગમાં તે ક્ષત્રિય કુળના જુલમી રાજાઓને શિક્ષા કરવા માટે જનમ્યા હતા.
૧૭.
पुं. પ્રેમી; આશક.
૧૮.
पुं. બલરામ; શ્રીકૃષ્ણના મોટાભાઈ; વસુદેવને રોહિણીની કૂખે થયેલ પુત્ર; રેવતીરમણ.
૧૯.
पुं. ( જરથોસ્તી ) બીજા મુખ્ય ફિરસ્તા બહમનના ત્રણ માંહેનો એ નામનો એક હલકારો.
૨૦.
पुं. માલ; કીમત.
૨૧.
पुं. રામાનુજ સંપ્રદાયનો એ નામનો એક સાધુ. તેણે આનંદ સંપ્રદાય કાઢયો હતો.
૨૨.
पुं. વરુણ દેવ.
૨૩.
पुं. વર્ગમાં મોટું એ અર્થ બતાવવા નામની પહેલાં મુકાતો શબ્દ.
૨૪.
पुं. વર્તમાન કૃદંતને અંતે લાગતાં `તે ક્રિયા કરવાની ટેવવાળું મસ્ત માણસ` એવો અર્થ બતાવતો શબ્દ. જેમકે ભમતા રામ, રખડતા રામ.
૨૫.
पुं. વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. નિત્યાનંદ સ્વરૂપ ભગવીનમાં યોગીજન રમણ કરે છે તેથી તે રામ કહેવાય છે.
૨૬. [ સં. રમ્ ( આનંદિત થવું ) ] पुं. સર્વત્ર વ્યાપી રહેલ પરમાત્મા; પરમેશ્વરનું એક નામ; જગદીશ્વર.
૨૭.
पुं. ( પુરાણ ) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલોત્પન્ન અજ રાજાના પુત્ર દશરથને કૌશલ્યાથી વિષ્ણુના અંશથી થયેલ પુત્ર. ચૈત્ર શુદિ નોમને દિવસે તેનો જન્મ થયો હતો. તેથી આ દેશમાં તેનો જન્મ રામનવમી અથવા રામજયંતીથી ઉજવાય છે. યજ્ઞના રક્ષણ માટે વિશ્વામિત્રની માગણીથી રામલક્ષ્મણે જઈ ઘણા રાક્ષસોનો નાશ કર્યો. યજ્ઞ સમાપ્ત થયા પછી વિશ્વામિત્રની સાથે રામ મિથિલા નગરીમાં જ્યાં સીતાનો સ્વયંવર હતો ત્યાં ગયા. રસ્તામાં પથ્થર રૂપે પડેલી અહલ્યાનો ઉદ્ધાર કર્યો. શિવે આપેલું પ્રચંડ ધનુષ્ય તોડી સીતા સાથે વિવાહ કર્યો. વિવાહ પછી અયોધ્યા પાછા જતાં રસ્તામાં જામદગ્ન્યે રામને આંતર્યા. તે વેળા તેમનામાંથી વિષ્ણુતેજ નીકળી રામમાં પ્રવિષ્ઠ થવાથી જગદગ્ન્ય પોતાને આશ્રમે ગયા. રામ અયોધ્યા આવતાં દશરથે તેના રાજ્યાભિષેકની તૈયારી કરી પણ કૈકેયીએ તેમાં વિધ્ન નાખી રામને બદલે ભરતને ગાદી અને રામને ચૌદ વરસ વનવાસ એવાં વરદાન માગ્યાં. રામ અયોધ્યા છોડી ચાલી નીકળ્યા. લક્ષ્મણ અને સીતા પણ તેમની સાથે ગયાં. તેઓ ચિત્રકૂટ પર્વત ઉપર આવી. પર્ણકુટિ બનાવી તેમાં સુખે રહેવા લાગ્યાં. ત્યાં રામે ઘણા રાક્ષસોનો નાશ કર્યો. શૂર્પણખાનાં કાન ને નાક કાપ્યા. ખર નામના રાક્ષસને પણ સૈન્ય સહિત માર્યો. આથી રાવણે મારીચ પાસે મૃગ રૂપ ધારણ કરાવી, પોતે સંન્યાસીનો વેષ ધારણ કરી, રામ અને લક્ષ્મણને અરણ્યમાં લલચાવી, તેણે સીતાનું હરણ કર્યું. રામ અને લક્ષ્મણ જ્યારે સીતાને શોધવા નીકળ્યા ત્યારે મરણોન્મુખ થયેલા જટાયુએ તેને ખબર આપ્યા. ચાલતાં ચાલતાં પંપા સરોવરે થઇ તેઓ ઋષ્યમૂક પર્વત સમીપ આવ્યા. ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી કરી, વાલીનો વધ કરી સુગ્રીવને ગાદીએ બેસાડ્યો. સુગ્રીવે સીતાની શોધ કરવા અંગદ, હનુમાન વગેરે વાનરોને મોકલ્યા. હનુમાને લંકામાં સીતાની શોધ કરી. વાનરસેના સાથે રામચંદ્ર લંકા જવા નીકળ્યા. નીલ વાનર વિશ્વકર્માના અંશથી જન્મેલો હતો. તેની પાસે સમુદ્ર ઉપર સેતુ બંધાવી રામ લંકામાં ગયા. રામરાવણનું યુદ્ધ થયું. તેમાં ઇંદ્રજિત, કુંભકર્ણ અને બધા રાક્ષસોનો નાશ થયો. સીતાએ અગ્નિપ્રવેશ કર્યો અને સુરક્ષિત બહાર નીકળ્યા. પછી વિભીષણને લંકાની ગાદી આપી રામ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા ગયા. ભરતને અગાઉથી સમાચાર મોકલાવ્યા હતા તેથી તેમને અત્યંત હર્ષ થયો હતો અને નંદીગ્રામમાં તે રામને મળ્યા. ત્યાર પછી અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થયો અને રામે ભરતને યુવરાજ પદ ઉપર સ્થાપ્યા. રામે અગિયાર હજાર વર્ષ રાજ્ય કર્યું. તે ગાળામાં કોઇનું અકાળ મૃત્યું સરખું પણ થયું નહિ, તેમ કોઇ સ્ત્રીને વૈધવ્ય પણ આવ્યું નહિ. સીતા રાગમથી સગર્ભા થયાં તેમણે ઋષિના આશ્રમે વાસ કરવો એમ નક્કી થયું. એ ઉપરથી રામે તેને વાલ્મીકિ ઋષિને આશ્રમે મોકલ્યાં. પછી રામે અશ્વમેધ યજ્ઞ કર્યો, જેમાં અનેક ઋષિ આવ્યા હતા. તેમાં વાલ્મીકિ પણ હતા. તેમની સાથે કુશલવ આવ્યા હતા. રામની આકૃતિ ભવ્ય હતી. તેઓ સીતા સિવાય બીજી સ્ત્રીઓને માતા સમાન માનતા. તેઓ વિષ્ણુના મર્યાદાવતાર તરીકે ગણાતા. રામે ઘણા કાળ પર્યંત ન્યાયપૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી રામરાજ શબ્દ ઉત્તમ રાજનીતિના પર્યાય તરીકે લોકોમાં પરિચિત છે.

૧. અંદરની વાત રામ જાણે = ધોળું એટલું દૂધ નહિ ને પીળું એટલું સોનું નહિ. ૨. આત્મારામ = અંત:કરણમાં રહેલો રામ; આત્મા પોતે જ રામ છે તેવું માનવું તે. ૩. જેને રામ રાખે તેને કોણ ચાખે = જેને ઈશ્વર સહાયભૂત હોય તેને કંઇ અડચણ આવતી નથી. ૪. રામ ઊડી જવા = (૧) ઉચ્ચ તત્ત્વ, સારપણ કે હિમત જતાં રહેવાં (૨) મરણ પામવું. ૫. રામ કરવું = ઓલવવું; ઠારી નાખવું. ૬. રામ ગાંડિયું = વેતા વગરનું; ઢંગધડા વિનાનું; વ્યતીપાત; ઘેલછાવાળું. ૭. રામચરણ પામવું = મરણ પામવું; મરી જવું. ૮. રામ જાણે = ભગવાન જાણે; મને ખબર નથી. ૯. રામ ઝરૂખે બેઠ કર સબકા મુજરા લેત જૈસિ જિનકી ચાકરી, વૈસા ઉનકુ દેત = જેવી કરણી તેવું ફળ. ૧૦. રામ થઈ જવું-રામ બોલી જવા-રામ રમી જવા = (૧) ઊંઘી જવું. (૨) ટાઢું પડી જવું. (૩) દુર્દશામાં આવી જવું; પાયમાલ થવું. (૪) વસ્તુના ભાંગીને ચૂરેચૂરા થઈ જવા. (૫) મરણ પામવું; પ્રાણ ઊડી જવા; મરી જવું. (૬) સત્ત્વહીન થઇ જવું. ૧૧. રામ નામ જપના, પરાયા માલ ખપના = મુખમેં રામ, બગલમેં છૂરી, ભગત ભયા ભી દાનત બૂરી. આ ધર્મઠગને માટે વપરાય છે. ૧૨. રામ નામ જપવું = છાનામાના બેસી રહેવું; બેઠાં બેઠાં ચૂપચાપ જોયા કરવું. ૧૩. રામ નામ દેવું = (૧) બીજાનું બૂરું બોલવાનું છોડી દઈ મનને સારા વિચાર તરફ દોરવું; માયા છોડી શાંત રહેવું. (૨) વાત છોડી દેવી. ૧૪. રામ નામે પથ્થર તરે = મોટાને નામે કામ થાય; મોટાને નામે બોર વેચાય. ૧૫. રામ બોલવા = મરી જવું. ૧૬. રામ બોલો થવું = (૧) આવી બનવું; માર્યા જવું; છેક જ નુક્સાનીમાં આવી પડવું. (૨) પડી ભાંગવું. (૩) મરી જવું. ૧૭. રામ બોલો ભાઈ રામ ! = (૧) થઈ રહ્યું ! સત્યાનાશની પાટી ! (૨) મડદાને સ્મશાને લઇ જતી વખતે બોલાતો બોલ. ૧૮. રામ રમાડી દેવા = મારી નાખવું. ૧૯. રામ રમી જવું-રામ બોલવા-રામશરણ કરવું. = (૧) ટાઢું પડી જવું. સત્ત્વ જતું રહેવું. (૨) મરણ પામવું; મરી જવું. (૩) સાધુ થવું; વિરક્ત થવું. ૨૦. રામરામ = (૧) રજપૂત રજપૂતને મળતાં કે છૂટા પડતી વેળા સન્માનસૂચક રામરામ બોલે છે. (૨) રજા લેતાં કરવામાં આવતી સલામ; જેગોપાલ; નમસ્કાર; જય જય. મેળાપ કે વિદાય વખતે તેમ બોલાય છે. ૨૧. રામરામ કરવા = (૧) ચાલુ વાતને જવા દેવી. (૨) છેવટના પ્રણામ કરવા. (૩) ભગવાનનું નામ જપવું. ૨૨. રામરામ કરો = એ વાત જવા દો; હવે કંઈ વળવાનું નથી. ૨૩. રામરોટલો થવો = (૧) કનકવાનો પેચ થવો. (૨) ભાંગી જવું; ચૂરા થઇ જવા. ૨૪. રામલક્ષ્મણની જોડ = રામલક્ષ્મણના જેવી સરખેસરખાની કે અરસપરસ હેતપ્રીતિવાળાની જોડી. ૨૫. રામ વગરનું = જિગર કે હિંમત વગરનું. ૨૬. રામશરણ પહોંચાડવું = મારી નાખવું. ૨૭. રામનું નામ દો = (૧) ભગવાનનું ભજન કરો; કંઇ સારું કામ કરો (૨) હવે કંઇ વળવાનું નથી. ૨૮. રામનું નામ લેવું = માયા છોડી દેવી; શાંત રહેવું. ૨૯. રામનું બાણ = (૧) કદી નિષ્ફળ ન જાય તેવું રામનું બાણ (૨) નિષ્ફળ ન નીવડે તેવું; અમોધ. ૩૦. રામનું રખવાળું-રખોપું = નિર્ભય સ્થિતિ. ૩૧. રામનું રાજ = (૧) પ્રજાને સુખ અને અભય હોય તેવું રાજ્ય; તેના જેવું ન્યાયથી ચલાવાતું સુખી રાજ્ય; લોકોને સ્વતંત્રતા અને ઇન્સાફ મળે અને તેમનું રક્ષણ થાય તેવું રાજ. (૨) રામચંદ્રજીનું રાજ્ય. ૩૨. રામનું રામાયણ = નહિ જેવી વાતનું મોટું પીંજણ; વાતનું વતેસર. ૩૩. રામનું સોણું ભરતને ફળ્યું-ભાવ્યું = જોઈતું હતું ને વૈદે બતાવ્યું; એકની ભાવના બીજાને ફળવી; ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ. ૩૪. રામને રળવું નહિ અને સીતાને દળવું નહિ = (૧) કંગાલ સ્થિતિમાં હોવું. (૨) બેઉ પક્ષ આળસુ હોવા; બંને સરખા હોવા. ૩૫. સો તારી રામદુવાઈ અને એક મારું ઊંહું = ઊંહું નું ઓસડ નહિ; ના પાડ્યા પછી હા ન થવી.
૨૮.
पुं. ( સંગીત ) હનુમંત મત પ્રમાણે દીપક રાગના આઠ માંહેનો એક પ્રકાર.
૨૯.
पुं. હીંગળો.
૩૦.
पुं. હુકમ ઉઠાવનાર ઘરનો માણસ.
૩૧.
पुं. હોંશ; જીવ; દમ; હિંમત; ઉમંગ; ઉત્સાહ.
૩૨.
न. અશોકવૃક્ષ; આસોપાલવનું ઝાડ.
૩૩.
न. અંધારું.
૩૪.
न. એક ગુણ્યા એકથી સો ગુણ્યા સો સુધીના વર્ગની માફક ગુણવાની રીતના પાડા.
૩૫.
न. એક જાતનું હરણ.
૩૬.
न. કુષ્ટ રોગ.
૩૭.
न. તમાલ પત્ર.
૩૮.
वि. આનંદદાયક; હર્ષ ઉપજાવે તેવું.
૩૯.
वि. કાળું.
૪૦.
वि. મનોહર; ખૂબસૂરત; સુંદર.
૪૧.
वि. શુભ; સારું.
૪૨.
वि. શ્વેત; ધોળું.

No comments:

Post a Comment